આયુર્વેદને કનડતાં દરદ !

                                                                                       – ‘આયુર્’

આ દેશના લોકોની એ તાસીર છે કે, એને પોતાનાં શાસ્ત્રોનું ગૌરવ ગાવું છે; દેશના ભવ્ય ભૂતકાળને વાગોળવો છે; સંસ્કૃતિનાં ગુણગાન ગાવાં છે ને પોતાના સમાજની સદીઓથી ચાલી આવતી કેટલીક પરંપરાઓને આગળ કરીને પરદેશીઓને સમજાવવી છે પરંતુ પોતાના દેશે સોંપેલી એ મહામૂલી સિદ્ધિઓને વ્યવહારમાં, ખાસ કરીને પોતાને ભાગે આવે ત્યારે, અમલમાં મૂકવી નથી !!

આપણો આયુર્વેદ આ બાબતમાં સાચ્ચે કમનસીબ છે. હજારો વર્ષોથી આ દેશનાં ઊંડાણે પડેલાં ગામડાંઓ સુધી જેનું વર્ચસ્વ હતું તે આજે ઝંખવાણો પડી ગયેલો અનુભવાય છે. આયુર્વેદનાં નીચે બતાવેલાં ચાર અંગોનો પરિચય કરીશું તો જણાશે કે એણે કેટલું સહેવાનું આવ્યું.

આયુર્વેદમાં જ્ઞાન, ઔષધ, વૈદ્ય અને દરદી – આ ચારેયની વાત કરશું તો જણાશે કે,

૧)  આયુર્વેદનાં મૂળ ગ્રંથોનું સાચું અર્થઘટન કરનારાં વિદ્વાનો હવે ઘટતા જાય છે. આ ગ્રંથો કૉલેજમાં ભણાવાય છે છતાં એમાં ઊંડા ઊતરનારા વિદ્યાર્થીઓ ઝૂઝ જણાય છે. ભણ્યા પછી એ વૈદ્યો એલોપથીક સારવારમાં રસ લઈને એ મહામૂલા ગ્રંથોના અવમૂલનને સિદ્ધ કરી આપે છે ! મૂળ ગ્રંથોને રિફર કરવાની કડાકૂટને બદલે “ડોશીમાનું વૈદું” કહેવાતા ટુચકાઓનું ચલણ વધુ જોવા મળે છે ! આયુર્વેદમાં નિદાન કરતી વેળા કેટકેટલાં નિરીક્ષણો ધ્યાનમાં લેવાતાં હોય છે ! દરેક દરદીની પોતાની તાસીર હોય છે; દરેક ૠતુનાં કારણો હોય છે; દરેક રોગનાં વિશેષ લક્ષણો – સંપ્રાપ્તિ – હોય છે એ બધાંને એક કોરે મૂકીને નિદાનો કરી નાંખવામાં આયુર્વેદનાં ગ્રંથોનું અપમાન રહેલું છે.

૨)   ઔષધો હવે શુદ્ધ સ્વરૂપમાં મળતાં નથી, મળે છે તો એમાં ભેળસેળ કરીને એની ગુણવત્તાને અરધાથીય ઓછી કરી નાખવામાં આવે છે પરિણામે રોગને મટાડવાનું લગભગ અશક્ય બની જાય છે. ઔષધીનાં વાવેતર રાસાયણિક ખાતરોને લીધે પણ બીનઅસરકારક તો ખરાં જ પણ ક્યારેક અવળી અસર કરનારાં પણ બની રહેતાં હોય તો નવાઈ નહીં. ને ત્રીજી વાત તે ઔષધોને તૈયાર કરવાની લાંબી શાસ્ત્રીય પદ્ધતિઓને અપનાવવાની દાનત ભાગ્યે જ વૈદ્યોમાં જોવા મળે છે. કેટલીય ફાર્મસીઓ હવે ટુંકે રસ્તે ઔષધનિર્માણ કરતી હોય તો શી ખબર પડવાની ? (હમણાં જ એક અનુભવ કર્યો જેમાં ફાર્મ ઉપર ઢગલા મોંઢે ઊગેલી કુંવારને વેચવા માટે ફાર્મસીઓનો સંપર્ક કર્યો તો જવાબ મળ્યો કે અમે તો કુંવારનો તૈયાર રસ જ ખરીદીએ છીએ ! એ રસ શુદ્ધ હોય કે ન હોય તેની ચિંતા ફાર્મસીઓને ન હોય તેવું બને !)

૩)   આજકાલ વૈદ્યોને પોતાને જ જો આયુર્પોવેદમાં પૂરતી શ્રદ્ધા ન હોય તો પછી આયુર્વેદની દશા અંગે કશું કરવાનું ક્યાં રહે છે ?! મૂળ ગ્રંથોનું દરરોજ, નિયમિત અને દરેક રોગીના કેસને ધ્યાને લઈને સતત અનુશીલન કરવાનું ભાગ્યે જ જોવા મળે. ટુંકા રસ્તે પરિણામો મેળવવા માટે કેટલીક બીનઆયુર્વેદીક દવાઓનો આશરો લેવાતો હોય તેવી પણ શંકા જાય તેવું વાતાવરણ બનતું જતું હોય તો તેથી પણ આયુર્વેદનું નામ ખરડાય તેમાં શી નવાઈ ? અનુભવનો અભાવ, આયુર્વેદનિષ્ઠાનો અભાવ, જલદી પરિણામો લઈને કમાઈ લેવાની ધખના વગેરે જેવા મુદ્દાઓથી આ ત્રીજું અંગ – વૈદ્ય – પણ આયુર્વેદની ચિંતાનો વિષય હોઈ શકે ખરો.

૪)  દરદી એ આયુર્વેદનું ચોથું ને મહત્ત્વનું અંગ છે. આયુર્વેદમાં દરદીને ‘આતુર’ કહ્યો છે. એની આતુરતા જલદી સાજા થઈ જઇને પાછા હતા તેવા જ મોજશોખી બની રહેવાની છે. આ દરદીને પરેજી પાળવી નથી; આયુર્વેદિક દવાઓમાંની કેટલીક તકલીફો જેમ કે દવાઓનાં સ્વાદ, ગંધ વ.નો અણગમો, ઉકાળા વગેરેમાં પડતી મહેનત, ધીરજ વગેરેને અપનાવવાં ગમતાં નથી; જલદી સાજા થઈ જવું છે ને ખર્ચો કરવો નથી (ડૉક્ટરો હજારો રુપિયાના રિપોર્ટ્સ કરાવીને ખંખેરે એમાં વાંધો લઈ શકાતો નથી); આ બધાંને કારણે પણ આયુર્વેદ વગોવાય છે.

=======    00000     =======

આ બધી જ બાબતો નજર સામે જ હતી ને છતાં આ લખનારે સામે ચાલીને પોતાના એક અઘરા રોગને મટાડવા માટે વિદ્વાન વૈદ્યનો સહારો લીધો ત્યારે સગાંસંબંધીઓએ “ઓપરેશન કરાવી લ્યોને મારા ભૈ ! ક્યાં સુધી ઉકાળા ખાંડ્યા કરશો ?” એવી સલાહો આપ્યાં જ કરેલી.

ડૉક્ટરોએ મારી રસોળીને કપાવવાનું અલ્ટિમેટમ આપી દીધેલું. રસોળીની બાજુમાં નીકળેલું ને ફૂટી ગયેલું ગૂમડું મારા ડાયાબિટિસને કારણે મટવાનું નથી જ એવી ચેતવણી સુદ્ધાં આપી દેવામાં આવેલી. ડૉક્ટરોની દવાઓની કોઈ જ અસર થઈ નહીં ને ગૂમડું રૂઝાવાનું નામ લેતું નહોતું તેથી પણ ઘરનાં સૌ ચિંતિત હતાં.

ને છતાં હું એક દિવસ વૈદ્યને આંગણે પહોંચી જ ગયો. બે મહિના સખત પરેજી પાળી; દવાઓમાં પૂરી કાળજી રાખીને નિયમિત રીતે લીધા કરી; વૈદ્યજીનો સતત સંપર્ક રાખ્યો….

ને આજે લગભગ અઢી મહિના પછી ગૂમડાની સંપૂર્ણ રૂઝ સાથે આ હકીકતો કીબોર્ડ ઉપર ટાઈપ કરવાનું સુભાગ્ય ભોગવી રહ્યો છું ! રસોળી જે પતાસા જેવડી હતી તે હજી મગની દાળથી નાના કદની છે.  એને મટાડવાની ઉતાવળ એટલા માટે નથી કે એને મૂળમાંથી કાઢવાની છે. મારા એક સગાને મારી જેમ જ રસોળી હતી તે ઓપરેશન પછી બીજી જગ્યાએ ફરી વાર થયેલી એટલે સરખી રીતે કાઢવામાં ન આવે તો ઓપરેશન પછીય ફરી થવાની દહેશત રહેતી હોવાથી ધીરજથી એને મૂળમાંથી કાઢવાનું જરૂરી હોઈ એની સારવાર ચાલુ છે. પણ આ મારા કેસમાં “આયુર્વેદનું પોતાનું દરદ” હળવું થયાની વાત હોઈ એને અહીં જ હોંશથી વર્ણવી છે. 

શિરઃશૂલ રોગ કે રોગનું કારણ ?

                                                              રાજવૈદ્ય એમ. એચ. બારોટ

આયુર્વેદ વિજ્ઞાનમાળાનો મણકોઃ “માથાનો દુખાવો”

હવે વિજ્ઞાન નરમ પડ્યું છે. જેમાં જેને અત્યાર સુધી માત્ર તે રોગનું લક્ષણ છે, લક્ષણ છે એમ જ કૂટે રાખતું હતું તે હવે ધીમે અવાજે એમ કહેવા લાગ્યું છે કે, તે રોગ હોઈ શકે છે. માથાનો દુખાવો આવો એક રોગછે જેને મેડિકલ સાયન્સ માત્ર રોગનું લક્ષણ ગણતો ને જે હવે હળવે હળવે રોગની સ્વિકૃતિ પામતો જાય છે. આયુર્વેદમાં પહેલેથી જ આ રોગ અન્ય રોગનું લક્ષણ (જેમ કે તાવનું) અને સ્વતંત્ર રોગ પણ ગણવામાં આવ્યો છે. આયુર્વેદના બધા આવાર્યો તેને રોગ ગણાવે છે. રોગનાં કારણો પણ વર્ણવે છે….

તેનાં લક્ષણો જાણીને નવાઈ લાગશે પણ એક કોન્ફરન્સમાં મળેલા વિશ્વના નિષ્ણાતોને એક જુનિયર નિષ્ણાતે એવું કહ્યું કે મારી સારવારમાં કેટલાક એવા રોગીઓ આવ્યા છે કે જેઓને માથાનો દુખાવો શરૂ થયો તે પહેલાં કોઈ જ રોગ ન હોય. અને માથું મટી ગયા પછી કોઈને પૂછ્યા વિના કે કશી તપાસ કરાવ્યા વિના પોતાના મૂળ કામે ચડી ગયા હોય. આવું મને પણ ઘણામાં ઘણી વખત જોવા મળ્યું છે. આવાને કોઈ રોગનું લક્ષણ કઈ રીતે ગણી શકાય ? તેના આ પ્રહાર પછી તો ઘણા નિષ્ણાતોએ પોતાના અનુભવો વર્ણવ્યા અને સંમત થયા કે માથાનો દુખાવો સ્વતંત્ર રોગ હોઈ શકે છે.

એ સ્વીકારવું પડે કે આયુર્વેદના નિષ્ણાતો વધુ પ્રજ્ઞાવાન હતા. એટલે તેઓએ આ સત્યને સૌ પહેલાં સ્પષ્ટ બતાવી દીધું. જે લોકો વધુ ઉંચાઈએ ઊભા હોય છે તેઓ વધુ જોઈ શકે છે….એક કોન્ફરન્સમાં એક વૈજ્ઞાનિકે ઐતિહાસિક બાબતને આગળ કરીને એવું બતાવ્યું હતું કે પશ્ચિમના ઘણા નિષ્ણાતો માથાના દુખાવાથી પીડાયા હતા. તેઓને આ દુખાવા સિવાય કોઈ રોગ હતો કે નહીં તેની વિગતો મળતી નથી. આ સૌમાં જુલિયસ સિઝર, મહાન સિકંદર, મહાન સંગીતકાર બિથોવન, ચાર્લ્સ ડાર્વિન, હેનરી ચહાઈન તથા લ્યુઈસ કેરોલ અને મોંપાસા જેવાઓ માથાના દુખાવાથી પીડાતા હતા.

સ્વતંત્રરીતે માથું દુખાડે તેવી કોઈ અવસ્થાઓ / કારણો છે ખરાં ? (આને અંગે હવે પછી જોઈશું.)

માથાના દુઃખાવાનું મિકેનીઝમ

                                                                           –  રાજવૈદ્ય એમ. એચ. બારોટ

માથાના દુઃખાવાની વિગત–તેના વિકાસની વિગત અત્યંત વિસ્તૃત છે. આયુર્વેદમાં આને સંપ્રાપ્તિ કહે છે. જ્યારે મેડિકલ પરિભાષામાં તેને પેથોજેનેસીસ કહે છે. 

૯૦% માથાનો દુઃખાવો લક્ષણ તરીકે, બીજા રોગના પરિણામે જોવા મળે છે. એટલે કે તે મુખ્યત્વે લક્ષણ છે. છતાં રોગ તરીકે પણ છે. આયુર્વેદ અહીં સ્પષ્ટ છે. તે શિરઃશૂલને રોગ જ ગણે છે અને અગિયાર જાતનો માથાનો દુઃખાવો છે તેવું માને છે. 

બીજું, માથાનો દુઃખાવો જેટલો ક્રિયાત્મક ફંક્શન છે તેટલો રચનાત્મક, ઓર્ગેનિક નથી. ઓર્ગેનિક એટલે રચનાની ખરાબીથી થતો માથાનો દુઃખાવો. જેમ કે મગજમાં કેન્સરની ગાંઠ થાય અને માથાનો દુઃખાવો થાય કે મગજમાં લોહીની નળી તૂટે અને માથાનો દુઃખાવો થાય. 

ત્રીજું, મગજનો વલ્કલ (કોર્ટેક્ષ)વાળો ભાગ જો દુઃખાવાની અનુભૂતિ વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય તો વ્યક્તિને દુઃખાવો અનુભવાતો નથી. ઉપરાંત ગાઢ ઊંઘમાં, હીપ્રોસીસમાં કે એનેસ્થેસિયા આપ્યો હોય ત્યારે દુઃખાવાનો અનુભવ થતો નથી. આ બધાંમાં મગજ વલ્કલ (સેરીબ્રલ કોર્ટેક્ષ) વેદનાનો અનુભવ થતો નથી. ટૂંકમાં દુઃખાવાનાં સંવેદનો ગ્રહણ કરનાર મગજના ભાગો જો તેનું યોગ્ય ઈન્ટરપ્રિટેશન ન કરે તો મગજને માથાના દુઃખાવાનો અનુભવ થતો નથી.

મગજના ભાગો જેમ વેદનાને અનુભવવામાં કેટલીક બાબતો પર આધાર રાખે છે તેમ દુઃખાવાના સંવેદનો સ્વીકારનાર–ગ્રાહક રીસેપ્ટર્સ પણ કેટલીક બાબતોથી પ્રભાવિત થાય છે. આ પરિબળોમાં યાંત્રિક પરિબળ (મિકેનિકલ પરિબળ) અને માનસિક પરિબળ (સાયકોજેનિક ફેક્ટર).

યાંત્રિક પરિબળમાં ગ્રાહક તંતુઓ પરનું દબાણ પેઈન–રૂજા પર અસર કરે છે. દબાણ, દુઃખાવો વધારે છે. જેમ કે કેન્સરની ગાંઠ, વ્રણ વસ્તુ (સ્કાર), વિદ્રધિ (એબ્સેસ), રક્તગ્રંથિ (એન્યુરિઝમ), મસ્તિષ્કગત રક્તસ્રાવ (સેરિબ્રલ હેમરેજ) અને કોઈ જાતનો અંદરનો કે બહારનો પાક (ઈન્ફ્લેમેટરી કંડીશન).

આવું જ મગજમાં આવેલ પ્રવાહી (સેરીબ્રોસ્પાઈનલ ફ્લુઈડ)નો માર્ગ બંધ થાય કે અવરોધ થાય કે મગજમાં આવેલ લોહી પરિભ્રમણ અવરોધાય ત્યારે પણ ત્યાં મગજની અંદરનું દબાણ વધીને (ઈન્ટ્રાકેનિયલ પ્રેશર) દુઃખાવો ઊભો કરે છે.

(લેખક કૃત ‘માથાનો દુઃખાવો’માંથી સાભાર)

એક માથાના દુખાવારૂપ રોગ અને આયુર્વેદની સજજતા.

                                     – રાજવૈદ્ય એમ. એચ. બારોટ

પરિચય

ટી.બી પર કાબુ આવી ગયો છે તેવું કહેનાર વિશ્વ આરોગ્ય સંસ્થા અને પશ્ચિમના દેશો આજે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. આ વિકટ પરિસ્થિતિ એટલે ટી.બી. મટવાને બદલે એવા સ્વરૂપે જોવા મળી રહ્યો છે કે નિષ્ણાતો પોતે ભયભીત થઈ ગયા છે. ભલે તેઓ કંઈ બોલતા ન હોય પણ તેઓને ગળા સુધી ખાત્રી થઈ ગઈ છે કે આમ જ ચાલ્યું તો ચેપનું સામ્રાજ્ય ફરી ઊભું થઈ રહ્યું છે, અને એન્ટિબાયોટિક્સ નિષ્ફળ જઈ રહ્યાં છે, તેવું સ્વીકારવું જ પડે. થૂંકેલું પાછું ગળવું પડે. શું કરવું ? મૂંજવણનો કોઈ પાર નથી.

ટી.બી.ની સારવારથી ન મટતા કેઈસીસ પશ્ચિમના દેશોમાં આજે ઊભરી રહ્યા છે. આવો ટી.બી. ત્રણ સ્વરૂપે જોવા મળે છે. અને આ ત્રણેય રૂપો આજે પશ્ચિમના દેશોમાં જોવા મળ્યા છે. આમાં એમ.ડી.આર. મુખ્ય સ્વરૂપે જોવા મળ્યો છે. એમ.ડી.આર. એટલે મલ્ટિપલ ડ્રગરૅઝિસ્ટ ટ્યુબરક્યુલોસીસ મુખ્ય છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે અત્યારે આવા બળવાન રોગોમાં રોગને મહાત કરવા મલ્ટિપલડ્રગ્ઝનો વાયરો છે અને શરૂઆતમાં આ થેરાપી ચમત્કાર બતાવે છે, પણ પાછળથી આમાં આ દવાઓ ગોબાજાળી ઊભી કરે છે.

આ દવાઓની નિષ્ફળતા દર્શાવતો બળવાન પ્રકાર છે, એક્સ.આર.ડી. – એટલે કે એક્સ્ટેન્સિવ ડ્રગરૅઝિસ્ટ ટ્યુબરક્યુલોસીસ. અને તેનો આ પ્રકાર સૌથી ખરાબ છે. તેથી તેનું નામ છે, એક્સ.એક્સ.આર.ડી. ટ્યુબરક્યુલોસીસ. આનો અર્થ છે, હાઈ એક્સ્ટેન્સિવ ડ્રગરૅઝિસ્ટ ટ્યુબરક્યુલોસીસ.

આજે વિશ્વમાં એમ.ડી.આર.ટી.બી.ના જ ત્રણ લાખ જેટલા રોગીઓ છે. જેમાં ચીનમાં સવા લાખ અને ભારતમાં એક લાખ જેટલા છે.

જૂના જમાનામાં ટી.બી. ક્ષયરોગ તરીકે ઓળખાતો. લોકો ‘ખય’ કહેતા. ટી.બી.નાં જૂનાં નામો થાયસિસ અને કંઝપ્શન. આ ક્ષયનાં જ ભાષાંતરો છે. ફેફસાંમાં ચેપ પછી ગાંઠો (ટ્યુબરકલ)થતી હોઈ એને ટ્યુબરક્યુલોસીસ નામ અપાયું. આયુર્વેદમાં ક્ષયનું શ્રેષ્ઠ વર્ણન અને શ્રેષ્ઠ સારવાર છે. ચન્દ્રને તેના સસરા દક્ષ પ્રજાપતિનો શાપ – ક્ષય માટે. ચન્દ્રને ક્ષય થવો. સોમનાથની ઉપાસના – બ્રહ્મચર્યથી ક્ષય મટવો જેવી પ્રાગૈતિહાસિક બાબતો સ્પષ્ટ બતાવે છે કે ક્ષય જુગજૂનો રોગ છે. દક્ષનો શાપ એટલે બાયોલૉજિકલ વેપન તરીકે ક્ષયનાં જીવાણુંઓનું ચન્દ્ર પર આક્રમણ જેવી બાબતો આમાં સમાયેલી જોવા મળે છે. શ્રેષ્ઠ આહાર (માંસાહાર એનસ્પિપ્રોટિન), શ્રેષ્ઠ પેય – પીણાં – મધ અને અરિષ્ટો સાથે અરડૂસીના જુદાજુદા પ્રયોગોથી ક્ષય અવશ્ય મટે છે, તેવું આયુર્વેદ માને છે. હજારો ઔષધો ક્ષય વિરોધી તરીકે બતાવાયાં છે.

ક્ષયના નવા ત્રણ પ્રકારોથી ભયભીત પશ્ચીમના દેશો.

હમણાં અમેરિકામાં અને જર્મનીમાં એમ.ડી.આર.ના રોગો જોતાં પશ્ચિમના દેશોની પગ નીચેની ધરતી સરકી ગઈ છે. એક તો બચત વિનાના વેપારોથી મહામંદીનો સામનો કરી રહેલ આ દેશોને એમ લાગવા માંડ્યું છે કે આર્થિક નિષ્ફળતા જેવી જ આરોગ્યની નિષ્ફળતા – ‘અમને ક્યાંયનાં નહીં રહેવા દે’ જેવી ભીતિ ઊભી થઈ છે.યાદ રાખો, પશ્ચિમના દેશોની ખાસ કરીને અમેરિકાની મંદીમાં સારવાર (હેલ્થ)નું મોટું બજેટ (૧૭થી ૨૦ %) પણ એક બળવાન કારણ ગણાય છે. તેમાં સારવારના માપદંડો જ લકવાગ્રસ્ત થવા માંડે તો પછી શું સમજવું ? આનાં પછી તો ઘણાં સર્વેક્ષણો થયાં જેમાં એચ.આઈ.વી./એઈડ્સનાં હાલનાં એ.આર.ટી. જેવાં ઔષધો પણ નિષ્ફળ જઈ રહ્યાંના રિપોર્ટ્સ છે. આ દવાઓ, એટલે કે એન્ટિરિટ્રોવાયરસ અને હાઈએન્ટિરિટ્રોવાયરસ દવાઓથી એચઆઈવી રૅઝિસ્ટ થઈ ગયાં છે. માત્ર ખુદા બચાવે !!

એમ.આર.ડી.નો એક કેઈસ રિપોર્ટ

શ્રીમતી શાહ, ગૌરવાન, નીચી કાઠી, સૂકલકડી શરીર સાથે મોઢા ઉપર માસ્ક બાંધીને તેના પતિ અને પુત્રી સાથે આવે છે. તેઓ પરિચિત છે. બહેનની ફરિયાદો – ડાબો ભાગ લકવાગ્રસ્ત અને વચ્ચેવચ્ચે તાવ, ખાંસી વિશેષ. ૬૩ વર્ષે શરીર સુકાયેલ હોય, ખાંસી હોય, વચ્ચે તાવ આવતો હોય તો અમે આયુર્વેદવાળા “જરાજન્યશોષ” (વૃદ્ધત્વને કારણે થતો ક્ષય) જ ગણીએ.

રોગવૃત્ત –

અત્યંત રસપ્રદ. રોગીનું શરીર બરાબર હતું. વજન ૫૬ કિલો હતું. ગમે તે કારણે ૧૯૯૮માં લકવો થયો.આખું ડાબું અંગ પકડાઈ ગયું. એટલે શંકા પડી સીરગ્ર… પર. આ ઘટાડવા એન્ટિકોએગ્યુલેટરી દવાઓ અને ફીઝિયોથેરાપીનો મારો ચલાવ્યો, જેથી ફરી એટૅક આવે જ નહીં ! હા, લકવા એવો ને એવો જ રહ્યો !! પણ નવાઈ વચ્ચે તેને ખાંસી આવી, જેમાં કફ સાથે લોહી પડ્યું !! જે કુટુંબમાં મોટાભાગનાં સભ્યો મેડિકોઝ હોય તેઓ સમજી ન શક્યાં કે આ લોહી કેમ પડ્યું ?! અને તે ન જાણી શકાયું તો ધૂળ પડી આ ધંધામાં ! સ્પૂટમ પરીક્ષા (AFB) કરતાં ટી.બી.નાં જીવાણુંઓ જોવા મળ્યા. એટલે ફરી થઈ AKTની સારવાર.નિષ્ણાતોએ બાર માસનો કોર્સ કરવાનું નક્કી કર્યું. પણ થોડા દિવસની સારવારથી “ઓપ્ટિક ન્યુરાઈટિસ” થતાં ઈથામ્બુટોલ બંધ કર્યું. દવાઓ ચાલુ રહી. ફાયદો થયો. એટલે દવાઓ બંધ કરી. તો થોડા સમય પછી ફરી તાવ આવવો અને ખાંસી શરૂ થતાં ગભરાટ થયો. તપાસમાં ફરી ટી.બી. જોવા મળ્યો. ફરી છ માસનો કોર્સ શરૂ. પણ રોગીની ફરિયાદમાં ફરક ન પડતાં ફરી તપાસનું ચક્ર શરૂ થયું. નિષ્ણાતોએ નિર્ણય કર્યો કે આ રોગ હવે એમ.ડી.આર થઈ ગયો છે. AKT કશું કરી શકે તેમ નથી. વાત શ્રી શાહને જણાવવામાં આવી.તેઓનો પિત્તો ગયો.કારણ કે નિષ્ણાતોએ રૂ. ૬૫ હજારનો મેડિક્લેઈમ વાપરી નાખ્યો હતો !! તેણે પોતાના મેડિકોને અને તેના મિત્રોને ખખડાવ્યા. પણ અર્થહીન !! ઉલટાનું કહેવામાં આવ્યું કે ભલે ૫ % પરિણામ હોય, દવાઓ ચાલુ રાખો. “અને ન રાખું તો ?” શ્રી શાહ તાડૂક્યા. “ ૨૦ દિવસમાં ફેફસાં ટી.બી.ના જીવાણુઓથી ભરાઈ જશે. અને પછી રોગીને બચાવી નહીં શકાય…”

આજે આ બધું છોડીને આવેલાં શ્રીમતિ શાહ છેલ્લાં ૩ વર્ષથી શાંતિથી જીવે છે. કોઈ AKT વિના. ટી.બી. ન જ મટે તે ભ્રામક માન્યતામાંથી આ કુટુંબ જેમ નીકળી ગયું તેમ બધાંએ નીકળી જવાની જરૂર છે.  જો આયુર્વેદની દવાથી એમ.ડી.આર. ટી.બી. મટાડી શકાય તો સાદો ટી.બી. તો રમતાં રમતાં મટે જ.

બૌધિકોના વિશેષ રોગો : બ્લડ– પ્રેશર

                            રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ.

 

બ્લડ પ્રેશર વધવાના અર્થમાં અહીં બ્લડપ્રેશર શબ્દ વાપર્યો છે, જેને વધુ ટેકનીકલ ભાષામાં કહેવું હોય તો હાઇપરટેન્શન કહેવામાં આવે છે. આનાં મુખ્ય કારણોમાં કીડનીનું ફંકશન બગડવું, વધુ પડતા ઉજાગરા, ખારા-તીખા બજારૂ ખોરાક અને સ્ટ્રેસ અને સ્ટ્રેઈન ભાગ ભજવતાં  જોવા મળે છે. આજના બૌધ્ધિકો પશ્ચિમનું વધુ અનુકરણ કરતા થઈ ગયા હોઈ, ડ્રીંક્સ, ધુમ્રપાન પણ એ આ રોગના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. બૌધ્ધિકોમાં વધેલી સોશ્યલ પેથોલોજી એ આજના યુગનો કદાચ સૌથી મોટો રોગ છે. તળેલો ખોરાક ઓછો ભાગ નથી ભજવતો.

ગોળી ગળીને સાજા થાવ એ સૂત્રમાં જ જો માનતા હો, તો આજના યુગમાં ડાયુટેટિસથી માંડીને બીટા બ્લોકર સુધીની શ્રેષ્ઠ દવાઓ ઉપલબ્ધ છે. લેતા રહો અને કામ ચલાવતા રહો. યાદ રાખો એક વખત શરૂ કરેલી આ હાઈપોટેન્સિવ્ ડ્રગ તો પછી ભાગ્યેજ બંધ કરી શકો છો. અને નપુંસકતા જેવો સાઈડ ઈફેક્ટનો લાભ મેળવતા રહો છો.

હા, છતાં જ્યારે આ વિષચક્રમાંથી છૂટવું હોય તો રસ્તાઓ છે – જરૂર છે. પહેલો રસ્તો તો જીવન શૈલીને બદલવી પડશે. જે કરવાથી બ્લડપ્રેશર આવ્યું તેનાથી ઉલ્ટી લાઈફ સ્ટાઈલ કરવી પડશે.  બહુ ટેન્શનવાળી લાઈફ સ્ટાઈલ હોય તો બધુ જ એવું ગોઠવો કે ચિંતા મુક્ત બનો. બહું ખારા, તીખા ખોરાક ખાતા હો તો કે તળેલા ખોરાક ખાતા હો તો બાફેલા ખોરાક પર આવી જાઓ. રાત્રિનું જાગવું અને દિવસનું સુવાનું છોડો. વધુ ચરબી હોય તો વજન ઘટાડવા આયુર્વેદમાં બતાવેલ હળવા ખોરાક શરૂ કરો, કસરત કરો, યાદ રાખો, અહીં કસરત એટલે યોગ્ય આસનો જ. આમાં પણ શવાસન બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. થોડું ઝડપથી ચાલીને પછી ૧૦ મિનિટ શવાસનની સ્થિતિમાં પડ્યા રહો. જેમાં તમે શૂન્ય મનસ્ક થઈ ગયાનું વિચારો. વિચારો ઘટાડો.

અનિદ્રાની બધીજ સારવાર બ્લડપ્રેશરમાં કામ લાગે તેવી છે, હા શક્ય એટલું મીઠું ઘટાડો, દહીં બંધ કરો, અહીં મીઠું એટલે આયોડાઈઝ નમકની તો વાત જ નથી. સિંધાલિણ ૨૫-૩૦% ખાઓ તો અનિદ્રાની સારવાર આપોઆપ ઉત્તમ ઉપચાર તરીકે કામ કરશે. સાંજે સુદર્શન ચૂર્ણ ૨ ગ્રામ લઈ ૫૦ મિ. લિટર પાણીમાં પલાળી તેનું નિતર્યુ પાણી પી જાઓ. અને અઠવાડિયામાં ૧ વાર દિવેલ લો. યાદ રાખો અહીં દિવેલ એટલે રિફાઈન્ડ કેસ્ટર ઓઈલ નહીં પણ રો સ્વરૂપનું મળતું દિવેલ ૧૫ થી ૩૦ ગ્રામ લો ગરમ દૂધ અથવા ગરમ ચા સાથે.

વિસ્મૃતિનો રોગ અને ઘી અંગેની ગેરસમજો

વિસ્મૃતિ      

                                      રાજવૈદ્ય એમ. એચ. બારોટ

વિસ્મૃતિ એક લાંબી હરોળ ધરાવે છે. ત્યાં વ્યક્તિનું નામ ભુલાઈ જવાથી માંડી એલ્જિમેર્સ સુધીના રોગોનું લિસ્ટ છે. નામ ભુલાય તેને એનેમેસીસ કહે છે. આમાં વ્યક્તિ બાકીનાનું ઘણું બધું ધ્યાન રાખી શકે છે. માત્ર નામ તે ભૂલી જાય છે. પોતાની પત્ની, પુત્ર, પુત્રીનાં નામો ઘણીવાર ભૂલી જાય છે. તો કેટલીકવાર તેની હાથમાં રહેલ લાકડીને શું કહેવાય તે પણ ભૂલી જાય છે. હા, દૂરના ઓળખીતાઓનાં નામ વધુ ભુલાઈ જાય છે. અને વ્યક્તિ બહુ જ મુંજવણ અનુભવે છે.

એલ્જિમેર્સ અંગે તો ભાગ્યેજ કંઈ કહેવાનું છે. તેમાં તો વ્યક્તિ બેત્રણ વર્ષનું બાળક હોય તેવા હાવભાવ કરે છે. તેને ફરી બધું શિખવવું પડે છે.

બૌધ્ધિકોમાં આ સૌથી બળવાન રોગ છે. કારણકે જેમ ઉંમર વધે તેમ મગજ સુકાવા માંડે છે. કારણકે વાયુ વધે અને વાયુને હટાવવાની સતત કોશિષ આપણે ક્યારેય નથી કરી. આપણે આપણા મિજાગરાઓ, ખાટ, હિંડોળાનાં કડાંમાં તેલ પૂરીએ છીએ, પણ કાનમાં, માથામાં કે નાકમાં નસ્ય દ્વારા ઘી, તેલ પૂરતા નથી. નાકમાં કરવામાં આવતું ઉંઝણ નસ્ય કહેવાય છે.

કહેવાની ભાગ્યેજ જરૂર છે કે આગળ કર્ણ સુરક્ષા, નેત્ર સુરક્ષા, અનિદ્રા અને બ્લડ પ્રેશરમાં આવતી  સારવાર વિસ્મૃતિની પણ ઉત્તમોત્તમ સારવાર  છે. બીજા શબ્દોમાં જો તમે બાળપણથી અરે ! પ્રૌઢાવસ્થાથી જો ક્રર્ણપૂરણ શિરોભ્યંગ, નસ્ય અને વરસમાં એકાદવાર શિરોબસ્તિ કે શિરોધારાનો કોર્સ કર્યો હશે તો વિસ્મૃતિ તમારી પાસે પણ ક્યાંય નહીં ડોકાય કારણ ? કારણ બહુ જ સ્પષ્ટ છે. ઉંમર જેમ વધતી જાય તેમ ધાતુઓ ઘસાતી જાય છે, ધાતુઓ ઘટે તેમ વાયુ વધે છે. વાયુ વધે એટલે ફરી વધુ ધાતુઓનો નાશ થાય છે. આમ વિષચક્ર શરૂ થાય છે. આ વિષચક્ર એક અને એક માત્ર કર્ણપૂરણ, શિરોભ્યંગ, નસ્ય, શિરોધારા, શિરોબસ્તિ કે સ્નેહબસ્તિથી જ દૂર કરી શકાય છે.

 દવાઓઃ-

બસ્તિઓ એ આ રોગની શ્રેષ્ઠ સારવાર છે. અહીં યાદ અપાવવું જરૂરી છે કે તમે બસ્તિ શબ્દ પ્રથમ વાર જ સાંભળ્યો છે. આ બસ્તિ સામાન્ય અર્થમાં એનીમા તરીકે ઓળખાય છે. તમે વધુ કબજિયાતવાળાને સાબુનુ પાણી અને ગ્લીસરીન ચઢાવાતું જોયું હશે. આ એક જાતની બસ્તિ છે. મૂળ બસ્તિ શબ્દ મૂત્રાશય-બ્લેડર માટે વપરાય છે અને જુના જમાનામાં વૈદ્યો પશુઓના મૂત્રાશયને એક શ્રેષ્ઠ એપરેચર્સ બનાવીને ગુદાવાટે બસ્તિઓ આપતા જે આજે સીરીંજો કે કેન દ્વારા અપાય છે. આ બસ્તિ કે મૂત્રાશય એક સાધન હતું જે પાછળથી ક્રિયાહીન થઈ ગયું.

પણ એનીમા આપવાની રીત અને બસ્તિ વચ્ચે આભ-જમીનનો ફર્ક છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણો આદિવાસી મિત્ર દિવસે પહેરેલા ટુવાલ વડે બીજા દિવસે સવારે સ્નાન કરે. એના એ જ કપડાં પહેરે તેને આપણે સ્નાન કહીશું ? અને જો તેને પણ સ્નાન કહીએ તો આપણું સ્નાન  કેટલું સુપર સ્નાન કહેવાય ? આટલો જ ફર્ક બસ્તિ અને એનીમા વચ્ચે છે. આની આખી વૈજ્ઞાનિક ચર્ચા છે, પણ આ પુસ્તકને મર્યાદા હોઈ આપણે તેને અહીં જ અટકાવીએ છીએ.

હા, બીજે એક અગત્યનો મુદ્દો યાદ રાખવા જેવો છે. તે છે આંતરડાંઓ – ખાસ કરીને મોટા આંતરડાંની શુધ્ધિ. જો તમે પિત્તને અને મળના કેટલાક દુષિત અંશોને જમા થવા ન દો તો મોટા આંતરડાંના બેક્ટેરીયલ ફલો-વિટામીન બીકોમ્પલેક્સ ને શ્રેષ્ઠ ફોર્મમાં બનાવે છે. આ ગ્રુપ પણ મગજને ઘણું જ મદદકર્તા વિટામીન છે. એટલે આયુર્વેદની બસ્તિઓ એ વિસ્મૃતિની શ્રેષ્ઠ સારવાર છે.

દવાઓમાં તમે બ્રાહ્મી, શંખપુષ્પી, મેધ્યા, સારસ્વતચૂર્ણ, માલકાંકણીની જેવી અનેક દવાઓ છે. પણ નિષ્ણાંતની સલાહ પ્રમાણે જ લો.

યાદ રાખો આયુર્વેદ માત્ર ગોળી ગળવાથી લાભ થાય છે તેવું માનતો જ નથી. એટલે  આયુર્વેદ પાસે બ્રાહ્મ રસાયન જેવું પ્રબળ હથિયાર હોતા છતાં મળશુધ્ધિ (વમન, વિરેચન, બસ્તિ, નસ્ય) સ્ત્રોતશુધ્ધિ (માર્ગો ચોખા રાખવા), શ્રેષ્ઠ મેધ્યઆહાર ગાયના ઘીને અગ્રિમતા આપવામાં આવી છે અને માથાની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે.

અહીં એક વાત ફરી યાદ પર મૂકવી રસપ્રદ થઈ પડશે. આ વાત છે ઘીની. આયુર્વેદમાં ઘીને આયુષ્યનો પર્યાય ગણ્યો છે. આયુર્વૈઘૃતમ્ અને મેઘા-જે ગ્રંથ ધારણ કરી શકે તેવી શક્તિના અર્થમાં અથવા લોંગટર્મ મેમરીના અર્થમાં રાખ્યો છે. તેના માટે ઘી એક શ્રેષ્ઠ ખોરાક છે. દુર્ભાગ્યે આપણે પશ્ચિમના રવાડે ચડીને, હાર્ટએટેકથી અને બહેનોએ ચરબી વધી જવાના ડરે ઘી ખાવાનું લગભગ બંધ કરી દીધુ છે. આનું પરિણામ ઘણું જ ખરાબ આવી રહ્યું છે અને આવશે. આને વધુ સ્પષ્ટ કરવા એકાદ-બે ઉદાહરણ જરૂરી લાગે છે. ન્યુયોર્કના એક પંજાબી વેપારીનું મૃત્યુ ૪૫માં વર્ષે થયું. પણ જે નિષ્ણાત આ રોગીની સારવાર કરતા હતા તેણે પુત્રને પણ લોહીમાં ચરબીનું પ્રમાણ-જાણવા લિપીડ પ્રોફાઈલ કરવા કહ્યું. તેમાં ટોટલ સીરમ કોલેસ્ટીરોલ-૧૮૦ આવ્યું. એટલે નિષ્ણાતો તેને ૧૬૦ જ રહે તે માટે તેના કેટલાક ખોરાક પર કાપ મૂક્યો. વાસ્તવમાં તો બધા જાણે છે. તેમ લોહીમાં ચરબીનું પ્રમાણ, ૧૫૦-૨૫૦ નોર્મલ ગણાય છે. એટલે ૧૮૦ તો સંપૂર્ણ નોર્મલ ગણાય. પણ કાર્ડિયોલોજિસ્ટને આ પણ વધારે લાગતાં. – ૧૬૦ નો આગ્રહ રાખ્યો હતો. બન્યું એવું કે છોકરાના ખોરાકમાંથી ઘી, લસ્સી જેવા પ્રિય ખોરાકો બંધ થઈ ગયા. બધું લુખું-સુકું ખાવાનું.

એકાદ મહિના પછી છોકરામાં વિચિત્ર ફેરફાર થવા માંડ્યા, બહુ ગુસ્સે થવા માંડયો. મિત્રો સાથે ઝઘડવા માંડ્યો, અરે જાણે ગાંડપણ હોય તેવું કરવા માંડ્યો. પ્રથમ સજાવટથી તેની માતાએ કામ લીધું. પણ કાબુમાં ન આવતાં સાઈકીયાટ્રીસ્ટને સંપૂર્ણ બતાવ્યું અને તેણે સારા ન્યુરોફીઝીશ્યનને બતાવવા ભલામણ કરી. ન્યુરોફીઝીશ્યને સંપૂર્ણ હીસ્ટ્રી લેતાં, યુવાનને ચરબી ઓછી મળવાનું ખોળી કાઢયું અને ઓછી ચરબીના કારણે તેનાં ન્યુરોટ્રાન્સમીટર ગરબડવાળાં બની ગયાનું જણાવ્યું અને સીરમ કોલ્સ્ટીરોલ ઓછામાં ઓછું ૧૮૦-૧૯૦ રહેવું જોઈએ. તેમના રોગીની આ મુંજવણ ગાયના ઘીએ એકાદ મહિનામાં દૂર કરી. છોકરો ૧૦૦% સાજો થઈ ગયો.

બીજો કેસ છે. એક ઓકોલોજીસ્ટ (કૅન્સરનું વિજ્ઞાન ટેકનીકલ ભાષામાં ઓકોલોજી કહેવાય છે)ના નિષ્ણાતના રિપોર્ટનો. આ નિષ્ણાત બ્રેઈન ટ્યુમર પર સંશોધન કરતા હતા. આ ગાળા દરમિયાન તેણે ન્યુરોન (બ્રેઈનના મૂળ કોર્ષો)નો અભ્યાસ કર્યો. તે એવા તારણ પર આવ્યો કે વિશ્વમાં ભારતીય  ઉપખંડ ખાસ કરીને ભારતના ન્યુરોન સેલ્સ લાંબા સમય સુધી સક્રિય રહે  છે. કેમ ? તેનો તો તેની પાસે કોઈ ઉત્તર ન હતો. પણ આપણે તેનો ઉત્તર અચૂક આપી શકીએ તેમ છીએ કે ન્યુરોનને લાંબો સમય કાર્યરત રાખવા ઘીનો ખોરાકમાં ઉપયોગ કરવો જ જોઈએ. તેનો એક પુરાવો તો આપણે ઉપર આપ્યો કે આયુર્વેદમાં ઘીને આયુષ્યનો પર્યાય ગણ્યો છે. બીજું તેનો મેઘ્યગુણ બતાવવામાં આવ્યો છે. ત્રીજું આપણી ભારતીય વાનગીઓમાં જો ઘીનો અભાવ હોય તો માણસનો ખોરાક ગણવામાં આવતો.

ઘી જેવા ખોરાકો જાંગમ ચરબી – એનિમલ ફેટ હ્રદયરોગ કરે છે, તેવો મૂળ વાયરો પશ્ચિમના દેશોમાંથી આવ્યો. જ્યાં ઘી નામની કોઈ ચીજ નથી. માત્ર દૂધની મલાઈ-ક્રીમ છે. આ મલાઈ અથવા ક્રીમ ચીકણાં (અભિષ્યંદિ) હોવાથી હ્રદયરોગ કરતાં હોઈ શકે. પણ દૂધ અથવા મલાઈનું દહીં બનાવી, તેમાંથી માખણ કાઢો અને તેને ઉકાળીને બનાવવામાં આવેલ ઘી ક્યારેય હ્રદયરોગ કરી શકે નહીં.

હા, જો તમે તદ્દન બેઠાડુ જીવન જીવતા હો તો ઘી ઓછું ખાઓ, ગરમ કરીને ખાઓ અને ભૂખ હોય ત્યારે જ ખાઓ. બાકી ઘીની જગ્યાએ માત્ર બાફેલું ખાવું કે લુખું-સુકું ખાવું તે કોઈ રીતે યોગ્ય નથી જ.

હા, હ્રદયરોગનો હુમલો આવી ગયા પછી તો આયુર્વેદમાં પણ ઘીની મનાઈ છે. અરે ! દૂધની પણ મનાઈ છે. અરે ! લિપીડ પ્રોફાઈલમાં  એચડીએલ, એલડીએલ જેવા શબ્દો કેમ છે ? એચડીએલ એટલે હાઈડેન્સીટી લાઈપો પ્રોટીન, હ્રદયરોગ ન થવા દેવા માટેની આ અનિવાર્ય ચરબી છે.

સુખી લોકોનો મારક રોગ – મધુમેહ

 મધુમેહ-ડાયાબીટીસ મેલીટસઃ         

– રાજવૈદ્ય એચ. એમ. બારોટ.


બૌધ્ધિકો જો આર્થિક રીતે વધુ સુખી હોય, ચરબી વધુ પડતી થઈ જાય અને દિવસે ઊંઘવાની ટેવ હોય તો મધુમેહ જલ્દી થઈ શકે છે. ભારતમાં હ્રદયરોગ અને મધુમેહનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યાનું નિષ્ણાતો માને છે. આના બીજા ઘણા કારણો હશે, પણ મહેનતનું મહત્વ ઘટી જવાથી તૈયાર ખોરાક ખાવાથી અને જીવન વધુ ટેન્શન વાળું બની જતાં આ રોગ વધ્યો હોવાનું મને લાગે છે.

સારવારઃ-

મધુમેહની સારવારમાં ત્રણ બાબતનું સંયોજન અનિવાર્ય છે. આ ત્રણનું સંયોજન એટલે દવા, ખોરાક અને કસરત સુશ્રુતના મતે આ રોગમાં જવનો ખોરાક, કૂવા ખોદવા જેવી મહેનત (પેનક્રિયાસ પર અસર કરનાર કસરત અને કુવો લોકોપયોગી કામ છે.) અને શિલાજિત જેવી દવાઓનો ઉપયોગ કરવાનું વિધાન ૧૦૦% વૈજ્ઞાનિક છે. ગોળી ગળો અને સાજા થાવ. તેવી બાબત ત્યાં નથી કે જ્યાં માત્ર ઈન્સ્યુલીન લઈને પેનક્રિયાસને હંમેશા નિષ્કિય કરી નાખવાની વાત પણ નથી જ. બધા દુષ્પરિણામોની વાત કરવાનો અહીં પ્રસંગ નથી છતાં આ રોગના ત્રણેક ઉદાહરણોતો આપ્યા વિના રહી શકતો નથી.

ન્યુરોપથીઃ-

વાત નાડીઓ (નવર્ઝ)ની કામ કરવાની અશક્તિ ન્યુરોપથી કહેવાય છે. તો નાડીઓમાં પાક થવો તે ન્યુરાઈટીસ કહેવાય છે. મધુમેહના રોગીઓને ખાસ કરીને તો પગની કળતર આ ન્યુરાઈટીસના કારણે થાય છે.

શ્રીમતી ગુણવંતી બેન શાહ ઉંમર ૪૫ વર્ષ. આક દિવસ વીઝીટે બોલાવે છે. તેની ફરિયાદ છે, જમણી આંખનું પોપચું ઢળી પડ્યું હોવાથી આંખ ખુલતી નથી. મૂળ કેઈસ એક ડાયાબેટોલોજિસ્ટનો હતો. તેણે ઓપ્થેલોમોજિસ્ટને મોકલ્યો તેણે વળી ન્યુરોફીજીશીયનની સલાહ લીધી. પણ છેલ્લે તો વાજતે ગાજતે ડાયાબેટોલોજિસ્ટ પાસે જ આવ્યું. કારણ બહુ જ સ્પષ્ટ હતું. આ રોગોના કારણ આંખના ઉપલા પોપચામાં આવેલ નાડી કામ કરતી ન હતી અને તેનું કારણ ડાયાબીટીસ જ હતું. ડાયાબીટીસના કારણે ન્યુરોપથી થઈ હોય તે મટે પછી જ આંખ સુધરે એટલે આયુર્વેદ સાંભર્યું.

રોગીને ડાયાબીટીસની દવાઓ તો ચાલુ જ હતી પણ તે કંટ્રોલમાં આવતો ન હતો. પીપીબીએસ બોર્ડર લાઈન સુધી જ હતો. આયુર્વેદની વાત વ્યાધિની સારવારે કર્ણ પૂરણ, નેત્ર તર્પણ (આ ઉપચારે વધુ મદદ કરી). વસંતકુસુમાકરને બંધ કરીને વાત ચિંતામણી શરૂ કરી કે પંદર દિવસમાં રોગી ૧૦૦% સાજો થઈ ગયો. જે ડાયાબેટોલોજિસ્ટ માટે પણ નવાઈની વાત હતી, આશ્ચર્ય હતું

 નપુંસકત્વઃ-

મિ. એસ ૪૮ વર્ષની ઉંમર કામદાર રાજ્ય વિમા યોજનાના કર્મચારી કોઈકની સલાહથી આયુર્વેદમાં સારવાર લેવા આવ્યા. થોડા સમય સારવાર લીધા પછી રોગીએ કહ્યું કે તેને ડાયાબીટીસ પછી નપુંસકત્વ શરૂ થયું છે. એટલે વસંતકુસુમાકર શરૂ કરી. તેનાથી તેને ઘણો જ ફાયદો થયો. પણ લાખો ની ખોટી દવાઓ ખરીદ કરનાર એક વિભાગે તેની ફરિયાદ કરી કે આ દવા બહુજ મોંઘી પડે છે. પણ રોગી એ જ્યારે તેના અધિકૃત અધિકારી પાસે તેની પત્નીને લઈ જઈને કથની કહી ત્યારે બધું થાળે પડ્યું અને છેલ્લે રોગી આ દવાથી સાજો થયો.

રેટિનોપથીઃ-

મિ. વાય. પોલ. એવી ફરિયાદ લઈને આવે છે કે તેની જમણી આંખ તો ડાયાબેટિક રેટિનોપથથી ગઈ છે. પણ ડાબી આંખમાં પણ ઝાંખપ આવવાની શરૂ થઈ છે. વધુ વિગત તપાસતાં રોગીએ જણાવ્યું કે ડાયાબીટીસ થયા બાદ લગભગ ત્રણેક વર્ષે જાણવામાં આવ્યું કે ઝાંખપ આવવી શરૂ થઈ છે. ઘણા નિષ્ણાતોને બતાવ્યું. રોગનું નિદાન સર્જને લેસર કિરણની મદદથી રેટિના ઠીક કરવાનું કહી ઓપરેશન કર્યું. પણ તે ૧૦૦% નિષ્ફળ રહ્યું. એટલે જમણી આંખે તો અંધાપો આવ્યો. સાહેબ, ગમે તેમ કરીને મારી ડાબી આંખ બચાવી લો. ડાયાબિટીસની સારવાર સાથે વસંતકુસુમાકર આપવા માંડી. ત્રિફલા સવારમાં ફાંટના રૂપમાં આવવું શરૂ કર્યું. રોગીએ બે મહિને કહ્યું કે મારી ડાબી આંખ બચી ગઈ પણ જમણી આંખમાં કોઈ ચમત્કારીક પરિવર્તન આવ્યું હોય તેમ મને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યું છે.

ડાયાબિટીસમાં ભૂખ્યા રહેવાની વાત તદ્દન ગાંડપણ ભરી છે. કારણકે મેહેષુ સંતર્પણ મેવકાર્યમ્ તેમ પેટ ભરવું જોઈએ. પણ જવ, ચણા જેવા ખોરાકોથી જેમાં કાંતો માત્ર પ્રોટીન હોય છે. સ્ટાર્ચ કે સ્યુગર હોતી નથી, લાંબે ગાળે પચે તેવા જોઈએ. એટલે રોટલી, દાળ, થોડી ભાજી, કારેલાં સૂરણ કે ભાજીઓનો ઉપયોગ ખોરાક તરીકે કરો.

દરરોજ શક્તિ પ્રમાણે મહેનત કરો. આખો દિવસ થોડી-થોડી મહેનત કરતાજ રહો. કમરથી શરીર વાળવું પડે તેવી કસરતો, યોગના આસનો કરો. આમાં પવનમુક્તાસન, પશ્ચિમોત્તાસન, સર્વાંગાસન ખાસ કરો.

ગળો, આમળાં, હળદર, નાગરમોથ, મામેજવો, ત્રિફલા, વિષિન્તિન્દુ એ આ રોગની સારી દવાઓ છે. ચંદ્રપ્રભા -૧, અને શિલાજિત શ્રેષ્ઠ દવાઓ છે. પણ તમારા માટે કઈ યોગ્ય છે તે નિષ્ણાત વૈદ્યને જ જણાવવા દો કહેવા દો.

હૃદય–રોગ (૨)

રોગની રોકથામ.                    

     રાજવૈદ્ય એમ. એચ. બારોટ.

હાર્ટ એટેકમાં બહુ નુકસાન ન થયું હોય, થોડું નુકસાન થયું હોય, કે સહેજ પણ નુકસાન થયું ન હોય ત્યાર પછીના એટેકને રોકવો એ તમારું મુખ્ય કામ છે. આ માટે પણ આહાર-વિહાર અને ઔષધ ખૂબ જ જરૂરી છે.

આહારઃ-

જો શરીરમાં ચરબી સારા પ્રમાણમાં હોય તો બાફેલાં શાકભાજી, આવતાજતા તલના તેલમાં વઘારેલાં શાકભાજી લેવાં જોઈએ. બાકીના બધાં તેલ ચરબી વધારશે, અથવા હૃદયને ફાયદાકારક અને નુકસાનકર્તા બંને (પોલી અને અન સેચ્યુરેટેડ ફેટ)ને ઘટાડે છે. જે છેલ્લે બહુજ નુકસાનકારક ગણાય છે.

અમ્લરસ હૃદયને હિતકારી છે. માટે વધુ વજનવાળાએ થોડા ગરમ પાણી અને તેમાં લીંબુનાં ટીપાં નાખી લેવાં જોઈએ. માઈલ્ડ લીંબુનું સરબત ચાલે. મોળી છાસ ચાલે, ગાયનું ઘી ૧૦ ગ્રામ જેટલું રોટલીમાં ચોપડી શકાય-લગાવી શકાય. આંબાનો રસ (જો ૠતુ હોય તો), એકાદ કણ મીઠું અને મધ મેળવી લેવું સારું. ટૂંકમાં થોડા પ્રમાણમાં ખટમીઠ્ઠાં ફળોનો રસ (જમ્યા પછી, બપોર પછી) લઈ શકાય. સવારમાં પલાળેલા, બાફેલા કઠોળ થોડુંક લીંબુ નીચોવીને લઈ શકાય. બપોરે ભૂખ પ્રમાણે દાળભાત, શાક અને સાંજે મલાઈ વગરનું દૂધ, રોટલી, તલનું તેલ નાંખેલી ખીચડી લઈ શકાય.

વિહારઃ-

વ્યાયામ-કસરત હૃદયરોગના હુમલા પછી ખરેખર કોઈ નુકસાન ન થયું હોય તો વ્યાયામ-કસરત એ શ્રેષ્ઠ સારવાર છે. આમાં યોગનાં આસન ઉત્તમ છે. માત્ર ત્રણ આસનો આમાં બહુ જ મદદ કરી શકે છે. (૧) પવનમુક્તાસન, સર્વાંગાસન અને શવાસન. આમાં શવાસનમાં કોઈ જ ક્રિયા કરવાની હોતી નથી. પવનમુક્તાસનમાં તમારે સાદડી જેવું પાથરી ઘૂંટણથી પગને વાળો અને ઘૂંટણ પાછળ બંને હાથ આંગળા પરોવીને રાખો. પછી દાઢી ઘૂંટણે અડકાવવાની કોશિષ કરો. આ અંગે જરૂર પડે યોગાચાર્યની મદદ લો. રોજ આવી ક્રિયા પાંચેક વખત કરો પછી પાંચ મિનિટ શવાસન કરો.

બીજું આસન છે-સર્વાંગાસન. આ આસનમાં સૂઈને કમરથી નીચેનો ભાગ ઉપર ઊઠાવવાનો હોય છે અને કમર પર હાથનો ટેકો આપવાનો હોય છે. દોઢેક મિનિટ આવી સ્થિતિમાં રહો. પછી ધીરેથી પગને ઘૂંટણથી વાળી પછી ચત્તા સૂઈ જાઓ. ફરી શવાસન કરો.

ઉપરનાં બંને આસનો હૃદયને સારી એવી કસરત પૂરી પાડે છે. તે પેટની માંસપેશીઓ, ઉદરપટલનું દબાણ હૃદય પર દબાણ હટાવીને તે શ્રેષ્ઠ મદદકર્તા પૂરવાર થાય છે.

આ બંને આસનો પહેલાં એકાદ કિ.મિ. ચાલવું જોઈએ. ચાલવાથી આખા શરીરને કસરત મળે છે. ચાલતાં ચાલતાં જો તમે બંને હાથને ખુલ્લા રાખવાને બદલે હાથની મુઠ્ઠી વાળો અને ખુલ્લી કરો, મુઠ્ઠી વાળો અને ખોલો. એમ જ કરતા જશો તો હાથનું લોહી બહુજ સારી રીતે હૃદય પર કસરતની અસર ઊભી કરશે.

આ કસરતો વાસ્તવમાં યોગાસનો પછી પ્રાણાયામ, ધ્યાન પણ હૃદયને બહુ જ મદદ કરે છે.

હા, હૃદયરોગના એટેકમાં જો હૃદયને નુકસાન થયું હોય, તો પછી તે નુકસાન કેટલું છે તેના આધારે યોગાસન અને ચાલવા જેવી કસરતો ગોઠવવી પડે. હા, શવાસન, પ્રાણાયામ અથવા ડીપબ્રીધ કે ધ્યાન ગમે તેવા હૃદયરોગમાં ફાયદો કરે છે.

બાકી એક દાખલો આપ્યા વિના રહી શકતો નથી. શ્રીમતી શેખને મૂળ તો સ્તનનું કેન્સર હતું. તેની સારવાર ચાલતી હતી. પરંતુ તે સારવારે તો ચમત્કાર સર્જયો. તેને હૃદયરોગમાં વાલ્વ, દિવાલ અને અનિયમિતતા સહિત અનેક ખામીઓ હતી. હૃદયરોગની દવાઓ ચાલુ હોવા છતાં તે જ સ્થિતિ હતી. તે આયુર્વેદની દવા પછી માત્ર એકાદ ખામી રહી. બ્લડપ્રેશર નોર્મલ થઈ ગયું, ડાયાબીટીસ (પીપીબીએસ) ૨૦૦એ પહોંચી ગયું. સ્તન કેન્સરમાં ઘણોજ ફાયદો થયો.

હૃદય–રોગઃ મારક નંબર વન !

હૃદયરોગ                                      

                                   રાજવૈદ્ય એમ. એચ. બારોટ.

દશ મારક રોગોમાં આજે પણ હૃદયયોગ પ્રથમ સ્થાને છે. બીજા રોગો આગળ પાછળ જાય છે. કૅન્સર મારક રોગોમાં નવમું સ્થાન ધરાવતો હતો. તે આજે બીજા સ્થાને આવીને બેસી ગયો છે, પણ હૃદયરોગે પોતાનું એક નંબરનું સ્થાન ક્યારેય ગુમાવ્યું નથી. અહીં એક વાત ભારપૂર્વક કહેવા માગું છું હૃદયરોગ એટલે કોઈપણ કારણથી થયેલ હૃદયરોગ. ઘણા હૃદયરોગના હુમલાને પણ હૃદયરોગમાં ખપાવી નાખે છે. હૃદયરોગનો હુમલો મુખ્યત્વે એક જ કારણથી આવે છે. જેમાં હૃદયને લોહી આપનાર નળીઓ હાર્દિકી ધમનીઓ માં અવરોધ (કોરોનરી આર્ટરી ડીસીઝ) થતાં હૃદયરોગનો હુમલો આવે છે. આ હુમલો હૃદયરોગમાં ફેરવાય ખરો અને ન પણ ફેરવાય. જો આ હુમલાને કારણે હૃદયની કોઈ દિવાલને નુકસાન થાય તો ત્યારબાદ રોગી, હૃદયરોગી કહેવાય છે. અહીં બીજું એટલું જ રસપ્રદ તારણ આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં જે રોગોમાં નામ જે તે રચનાત્મક વિકૃતિ-ઓર્ગેનિક ડીસઓર્ડર સમજવામાં આવે છે. દા.ત. હૃદયરોગ એટલે હૃદયની દિવાલો, વાલ્વ કે ધમનીઓમાં જોવા મળતી ખરાબી. શિરોરોગ મગજ, તેનાં અંગોપાંગ, ધમનીઓની રચનાત્મક વિકૃતિ સમજવામાં આવી છે.

હૃદયરોગનાં કારણોને બે વિભાગમાં વહેંચી શકાય. એક કારણ દૂરનાં કારણો છે. આયુર્વેદ તેને વિપ્રકૃષ્ટ કારણ કહે છે. અને બીજાં છે નજીકનાં કારણો. આ કારણો સંત્રિકૃષ્ટ કારણો કહેવાય છે. અત્યારનું વિજ્ઞાન દૂરનાં કારણો બતાવતાં કહે જે હૃદયરોગનો હુમલો લાવી પાછળથી હ્રદયરોગ કરે છે. વ્યવહારમાં જોવા માટે ઘણાં કારણો બતાવવાનાં છે. જેમકે વધુ પડતું વજન, ધુમ્રપાન, દારૂ, લોહીમાં ચરબીનું પ્રમાણ વધુ હોવું, બેઠાડુ જીવન, ચિંતા અને માનસિક તાણ અને ડાયાબીટીસનું હોવું મુખ્ય માનવામાં આવે છે. યાદ રાખો અત્યારના વિજ્ઞાનમાં આ કોઈ કારણો સામૂહિક કારણોને હ્રદયરોગનું મુખ્ય કારણ ગણવાનું વલણ નથી. આ બધાં જોખમી પરિબળો છે રિસ્ક-ફેક્ટર્સ. આ બધા લોહીની નળીઓ, હૃદયને લોહી પહોંચાડતી નળીઓને ચરબીથી અવરોધે છે. હૃદયરોગનો હુમલો આવી શકે છે.      દૂરનાં કારણોની જેમ આયુર્વેદમાં નજીકનાં કારણો બહુ જ સ્પષ્ટ બતાવ્યાં છે. યાદ રાખો આયુર્વેદ આ કારણો જ ગણે છે, રિસ્ક ફેક્ટર્સ નહીં.

 હૃદયરોગનો હુમલોઃ-

આ માત્ર નિષ્ણાત વૈદ્ય ડૉક્ટરનું કામ છે. એટલે તેની સારવાર જાતે ન કરવી જોઈએ. અહીં, યાદ રાખો માત્ર છાતીનો દુઃખાવો એ હૃદયરોગનો હુમલો નથી.  પુષ્કળ પરસેવો થવો શ્વાસ વધી જવો, બહુ જ બેચેની થવી, ઉલ્ટીઓ કે ઝાડા થવા કે હાજત થવી. છાતીની માંસપેશીઓનો દુઃખાવો, ઘણીવાર પેટની ગરબડ વાસ્તવમાં હૃદયરોગ હોય છે. અને છાતીનો દુઃખાવો વાસ્તવમાં તો પેટની ગરબડના કારણે હોઈ શકે.

 હૃદયરોગની સારવારઃ

આમાં હેમગર્ભ, બૃહત વાત ચિંતામણી, બૃહત, કસ્તુરી, ભૈરવ હરિતક્યાદિ ચૂર્ણ, અર્જુનારિસ્ટ જેવી ઘણી દવાઓ છે. રોગીનો રોગ પ્રકૃતિ, ૠતુ વગેરે મુખ્યત્વે આ રોગનાં લક્ષણોને અનુરૂપ સારવાર કરવી જોઈએ.

છાતીમાં બહુ દુઃખાવો હોય તો બૃહત વાતચિંતામણી શ્રેષ્ઠ છે. પણ નાડીની અનિયમિતતા સાથે હૃદયરોગની ફરિયાદો, પેશાબ થોડો આવવો, સાંજે પગે સોજા આવવા, જેમાં હેમગર્ભ રસ શ્રેષ્ઠ છે. આમ રોગની લાક્ષણિકતાને પણ સારવારમાં પ્રાધાન્ય આપવું જોઈએ.

 આહારઃ-

પ્રવાહી ખોરાક, સુપાચ્ય ખોરાક, બાફેલો ખોરાક સારો. મીઠાનું પ્રમાણ ઘટાડો અને આયોડાઇઝડ નમકની જગ્યાએ સિંધાલુણ વાપરો. તળેલું, વાસી, વાલ, વટાણા અને મેંદાની આઈટમો સદંતર બંધ કરો. સૂકા નાળિયેરનું પાણી, માઈલ્ડ લીબુંનું પાણી-

શરબત, મોળી છાશ આપી શકાય. મગ, મગનું પાણી શ્રેષ્ઠ છે.

 વિહારઃ-

શક્ય તેટલું બ્રહ્મચર્ય પાળો. પશ્ચિમના વાદે એ ન ભૂલો કે તેનું મહત્ત્વ નથી. બહુ મહેનતનું કામ ન કરો, તેમ જ બેઠાડુ ન બની જાઓ. શક્ય હોય તો ધીમે ધીમે કામ-આરામ, કામ-આરામનું સૂત્ર અપનાવો. દિવસે ઊંધવાનું નહીં. આરામ કરવાનું રાખો. રાત્રે જાગવાનું છોડો અને ખરેખર જાગરણ થયું હોય તો જમ્યા પહેલાં થોડું ઊંઘી લો. અથવા આરામખુરશીમાં ઝોકાં ખાઓ. કહેવાની ભાગ્યે જરૂર છે કે આયુર્વેદમાં બ્રહ્મચર્ય સાપેક્ષ શબ્દ છે અને તે તમારી ઉંમર, ૠતુ, જાતીય ઈચ્છા, આહાર એમ ઘણી બાબતો પર આધાર રાખે છે. એટલે એ અર્થમાં બ્રહ્મચર્ય પ્રતિદિન જાતીય વ્યવહારો બંધના અર્થમાં નથી.

આયુર્વેદમાં “સહજ બળ”નો વિચાર

સહજબળ અંગે ખાસ

        – રાજવૈદ્ય એમ.એચ. બારોટ

આપણી ચર્ચામાં છેલ્લે જે બાબત જોવાની છે તે સહજબળની છે. આપણે જોઈ તે જાગૃતિથી તમે તમારું આરોગ્ય જાળવી શકશો. પણ ગમે તેવાં તોફાનોમાં-તોડફોડમાં શરીર ટકી રહે અને ફરી બળવાન બને તે તો જો તમે સહજ બળ લઈને જન્મ્યા હશો તો જ શક્ય છે.

તમારામાંના ઘણા મિત્રોએ અનુભવ્યું હશે કે આપણા ત્રણ-ચાર મિત્રો ધૂમ્રપાન કરે છે, ગમે ત્યાં ફરે છે, ઉજાગરા કરે છે, ગમે તેવું કચરા જેવું ખાય છે, તેને સ્ત્રીમિત્રો પણ વધુ છે અને છતાં બીજા મિત્રોથી તેની તંદુરસ્તી સારી છે, અને ત્યારે તમે લોકોએ કદાચ ચર્ચા પણ કરી હશે કે આ તો મોટી ગરબડ છે. આપણે બહુ કાળજી રાખીએ છીએ અને પેલો મારો બેટો બેફામ વર્તે છે તો પણ તગડો છે અને જો ધીરજવાન નહીં હો તો તમે પણ તેમાંનું કેટલુંક કરવા માંડો પણ ખરા.

પ્રશ્ન થવો સાહજિક છે કે આવું કેમ બને છે ? આનો જવાબ સરળ તો નથી જ છતાં એકાદ મુદ્દાને જ નજર સમક્ષ રાખીને ઉત્તર આપવો હોય તો એમ કહી શકાય કે તમારો ડાંડ મિત્ર સહજબળ લઈને જન્મ્યો છે. એટલે તમારા પ્રશ્નોની હારમાળાનો સામનો લેખક તરીકે મારે જ કરવો પડે, તે પહેલાં થોડી બાબત તમારી સમક્ષ બતાવી દઉં.

આયુર્વેદમાં ત્રણ બળ બતાવવામાં આવ્યાં છે. સહજબળ. કાલકૃતબળ અને યુક્તિકૃતબળ. અહીં બળ શબ્દ સામાન્ય અર્થમાં શરીરની શક્તિ-સ્ટેમિનાના અર્થમાં છે. પણ તેનો વિશેષ અર્થ પણ છે. આ વિશેષ અર્થ એટલે વ્યક્તિમાં રહેલ રોગપ્રતિકાર શક્તિ. જેને અંગ્રેજીમાં ઈમ્યુનિટિ કહેવામાં આવે છે.

સહજબળ એટલે માતાપિતા તરફથી મળેલ કુદરતી બળ. માતાપિતા બંને તંદુરસ્ત હોય, તેમનાં બીજ પણ તંદુરસ્ત હોય તો બાળક બળવાન બને છે. મહાભારતમાં જોયું તેમ ભીમ જન્મતાની સાથે પડ્યો તો પથ્થરની શીલા તોડી નાખી. આ તેનું સહજબળ. તમે રોમનો ઈતિહાસ વાંચ્યો હોય તો સ્પાર્ટાનામની ત્યાંની પ્રજા જન્મેલા બાળકને પહાડ પરથી નીચે ગબડાવતા. આમાંથી જે બચી જાય તેને જ બાળક તરીકે અપનાવતા. વિચારો આમાંથી કોણ બચતું હશે ? અને જે બચતું હશે તે કેટલું જીવંત બળવાન હશે !

તમે કોઈના સહજબળને ચેલેન્જ કરી શકતા નથી. હવે તમારા ખ્યાલમાં આવ્યું હશે કે આ યુક્તિ-પ્રયુક્તિ એટલે સારો ખોરાક, કસરત અને આયુર્વેદના બતાવેલ વ્યાયામ-તેલ માલિશ દ્વારા શરીરને મજબૂત બનાવવું. રામમૂર્તિની વાત તો તમે સાંભળી જ છે. તે વિશ્વનો શ્રેષ્ઠ પહેલવાન બની ગયો હતો. તે પોતાની છાતી પર હાથી ચલાવી શકતો. નાળિયેરી પરના નાળિયેરને હલબલાવીને નીચે પાડી શકતો. અરે, ઝેર પણ પચાવી જતો. પણ આ અસાધારણ બાબત છે. સામાન્ય રીતે આ યુક્તિ-પ્રયુક્તિનો અર્થ એટલે યુક્તિબળ. અત્યારે મેડિકલ વિજ્ઞાને જે ઈનોક્યુલેશન અને વેક્સિનેશન વિકસાવ્યાં છે તે વાસ્તવમાં આ યુક્તિબળ જ છે. જેમાં વેક્સિન અપાઈ હોય તે બાળક જે રોગ સામે લડી શકે-પ્રતિકાર કરી શકે. પણ આ સાધારણ ઉપાય છે. શ્રેષ્ઠ ઉપાય તો આયુર્વેદમાં જે પ્લાન્ડ કરવામાં આવ્યા છે, તેવા સુવર્ણપ્રાશ, કર્ણવેધન અને દસ વર્ષ સુધીના વિવિધ સિદ્ધઘૃતો-મેડિકેટેડ ઘી આપવા એ જ શ્રેષ્ઠ છે.

વાત કરી રહ્યા છીએ તો ત્રીજા બળને પણ બતાવી દઉં. આ ત્રીજું બળ એટલે કાલકૃત બળ. અર્થ તદ્દન સરળ છે. ૠતુ દ્વારા મળતું બળ અને વયની દ્દષ્ટિએ મળતું બળ એટલે કાલકૃત બળ. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આપણે શિયાળામાં બીજી ૠતુ કરતા બળવાન હોવાનું અનુભવીએ છીએ. એજ રીતે તદ્દન નબળી વ્યક્તિ પણ યુવાનીમાં કંઈક વધુ બળવાન હોવાનું અનુભવે છે. આની એટલી વિસ્તારથી ચર્ચા આયુર્વેદમાં બતાવવામાં આવી છે કે તેનું વર્ણન આવશ્યક છે.

હા, સહજબળ અંગે બૌધ્ધિકોનું ધ્યાન દોરવું મને બહુ જરૂરી લાગે છે. કારણની ચર્ચા હું ઉપર કરી ચૂક્યો છું.

તમારાં બાળકોમાં જો આ સહજબળ ન હોય તો તમારાં બાળકોનાં બાળકો સહજ બળવાળાં જન્મે તે તો તમે અવશ્ય કરી શકો છો અને આમા બહુ મુશ્કેલી નથી. બાળકોને બૌધ્ધિકો બાળલગ્ન કરાવે તે તો કલ્પવું શક્ય નથી. પણ આજના યુગના યુવાનો બહુ મોડા પરણે છે, યુવતીઓ મોડી પરણે છે. બાળલગ્નોની જેમ આ લગ્નો પણ ઈચ્છનીય નથી. યાદ દેવરાવવાની ભાગ્યેજ જરૂર છે કે સ્ત્રીઓમાં ૩૦ વર્ષ પછી-વધુમાં વધુ ૩૫ વર્ષ પછી ફર્ટિલીટી પ્રજનનક્ષમતા ઘટી જાય છે. એટલે જે યુવતી ૧૮ વર્ષથી શરૂ કરીને ૨૮ વર્ષ સુધીમાં પોતાનાં બાળકોને જન્મ આપે તે બાળકો ૨૮ વર્ષ બાદ જન્મતા બાળક કરતાં વધુ સહજબળવાળાં હોય છે. અલબત, પુરુષોમાં ફર્ટિલીટી સ્ત્રી કરતાં વધુ લાંબી છે. છતાં તે દ્વારા થતું પ્રજનન ૨૫ થી ૩૫ વર્ષમાં શ્રેષ્ઠ હોય છે. ૨૫માં વર્ષે ઉત્તમોત્તમ.

એટલે ઘરના મોભી તરીકે સહજબળવાળાં બાળકો તમારા કુટુંબમાં આવે તે જોવાની જવાબદારી તમારી ગણાય. જો સહજબળવાળાં બાળકો કુટુંબમાં આવશે તો તમારા ઘરમાં હેલ્થના ઘણા પ્રશ્નો હલ થઈ જશે.

સહજબળ માટે બીજું જરૂરી છે, સ્ત્રીઓની સગર્ભા અવસ્થા દરમિયાન આયુર્વેદના નિયમો દ્વારા પાળવામાં આવતી સગર્ભાચર્યા. આ ચર્યા આયુર્વેદમાં જ શ્રેષ્ઠ છે. એટલે પુત્રવધુ કે પૌત્રવધુ  સગર્ભા હોય ત્યારે નિષ્ણાત આયુર્વેદના વૈદ્યની સલાહ અવશ્ય લો. તમે કહેશો કે આજે તો સોનોગ્રાફી અને અનેક પરીક્ષણો દ્વારા સગર્ભાઓની ચકાસણી કરવામાં આવે છે અને રોગોનું સગર્ભા સ્ત્રીનું અને ગર્ભમાં રહેલ બાળકના રોગોને જલ્દી પકડી શકાય છે. આમાં વાદવિવાદ ઘણો જ છે. બધું કહેવા માટે આપણી પાસે સમય નથી. પણ તમે એ ન ભૂલશો કે સોનોગ્રાફી હું અને તમે માનીએ છીએ તેટલી સરળ પ્રક્રિયા નથી. તેમાંથી પસાર થતાં અલ્ટ્રાસોનિક સાઉન્ડ ગર્ભમાં બાળકને અવશ્ય નુકશાન કરી શકે છે. તેનો વારંવાર ઉપયોગ ખતરનાક બની શકે છે. અરે, આપણે તેની વિગતે ચર્ચા કરતા નથી. પણ આ પરીક્ષણો પછી બાળકની પુષ્ટિ માટે આયુર્વેદમાં બતાવેલ દર મહિનાનો ગર્ભ માટેનો આહાર શ્રેષ્ઠ છે. તેનાથી બાળક પુષ્ટ થાય છે. એટલું જ નહીં સામાન્ય ખામીઓ દૂર થઈ જાય છે. એટલે તેને અપનાવવી જ જોઈએ.

છેલ્લે….મેં તો સગર્ભાવસ્થાની વાત કરી પણ શ્રેષ્ઠ બાળકો માટે તો સ્ત્રી ૠતુધર્મમાં બેસે તે ગાળાના શિસ્તના નિયમો પળાવવા જોઈએ. કારણ કે નવું બીજ આ ગાળામાં જ તૈયાર થાય છે. તેનો આહાર, વિહાર તથા ડુ અને ડોન્ટ ડુ ને વળગી રહેશો તો અવશ્ય સહજબળ બાળ જન્મશે.

વ્યસનથી બચોઃ- 

બૌધ્ધિકો અને વ્યસન અત્યારે તો એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. બુદ્ધિનું જેટલું કામ વધુ, તર્કનું જેટલું કામ વધુ તેટલી તમાકુ વધુ, તેટલા ગુટખા વધુ, પાન વધુ કે સિગારેટ વધુ. આ એક દુર્ભાગી વિષચક્ર છે. આમાંથી ભાગ્યે જ કોઈ ધંધાનો બૌધ્ધિક બાકી હશે. પછી તે ધંધો ચિકિત્સાનો હોય, વકીલાતનો હોય કે અન્ય કોઈ હોય.

તમને જાણીને નવાઈ લાગશે. પણ અમેરિકાના ડૉકટર્સનું સરેસાશ આયુષ્ય આમ જનતા કરતાં દસથી પંદર ટકા ઓછું છે. હવે આ તો કદાચ તેમની ધંધાકીય મનોદૈહિક અતિ વ્યાપારનું પરિણામ હોઈ શકે. પણ સોશ્યલ પેથોલોજીની એટલી જ જવાબદારી બતાવવામાં આવી છે. અરે, ત્યાંના સમાજશાસ્ત્રીઓના મતે સર્વેક્ષણમાં જુના હીલર્સ તન-મનનો સુંદર તાલમેલ રાખતા હતા. જ્યારે અત્યારના ડૉકટર્સ માત્ર મશીન બની ગયા છે. તેઓને તન-મનનો તાલમેલ સુઝતો નથી.

સર્વેક્ષણમાં અમેરિકન  ડૉકટર્સ ચેઈન સ્મોકર્સ અને ડ્રગ્સના સેવી બની ગયાનું ચોકાવનારું તારણ છે. આમ આપણે જે વાતથી બૌધ્ધિકતા અને વ્યસનનો અવિનાભાવિ સંબંધ બતાવ્યો તે અમેરિકનોમાં તો અવશ્ય જોવા મળે છે. ભલે આટલો બધો ન હોય પણ આપણે ત્યાં બૌધ્ધિકો-ડૉકટર, વકીલો, પ્રોફેસર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપનીઓના એકઝીક્યુટીવમાં આ પ્રમાણ સારા પ્રમાણમાં જોવા મળે છે. હું એક એવા એડવોકેટને ઓળખું છું કે જે નાની ઉંમરમાં સેરીબ્રલ સ્ટોકના કારણે ગુજરી ગયા કારણ કે તે ચેઈન સ્મોકર હતા.

યાદ રાખો, વ્યસન તમારી તંદુરસ્તીને તો જરૂર નુકસાન કરે છે. પણ તમારા કુટુંબીજનોમાં પણ નુકસાન કરશે. ધૂમ્રપાન આવું કરી શકે છે. તમારામાં સહજબળ હશે તો ઓછું નુકસાન થશે. તો તમારા સંતાનોને નુકસાન કરશે. અરે, એવા દાખલા જોવા મળ્યા છે કે દાદા ૯૦ વર્ષે ગુજર્યા હોય, હટ્ટાકટ્ટા હોય, તેના દીકરાના દીકરામાં બ્રેઈન ટ્યુમર નાની ઉંમરે જોવા મળ્યું. શક્ય છે કે આ દાદાએ આપેલો વારસો હોઈ શકે માટે વ્યસનનો ત્યાગ કરો.